Blogger Tricks
  • સંદેશ સમાચારપત્ર
  • કેલેન્ડર અને મુહુર્ત
  • L.I.C. નું પ્રિમીયમ ભરવા માટે
  • બાળકો નું બ્રમ્હાંડ
  • ઓનલાઇન ટેક્સ પેમેન્ટ
  • નોકરીની જાહેરાતો માટે RIJADEJA
  • ડ્રાઇવીંગ લાયસન્સની ઓનલાઇન પરીક્ષાનો ડેમો
  • તમે કરેલ સ્પીડપોસ્ટ કે રજીસ્ટર એડી ની માહીતી મેળવો
  • ઓજસ ગુજરાત જોબ પોર્ટલ
  • મોબાઇલ ની કિંમત જાણો
  • ડાઉનલોડ ગુજરાતી ડોટકોમ એમપીથ્રી
  • ડાઉનલોડ એમપીથ્રી સોન્ગ્સ
  • મતદાર યાદી
  • ચેસ ઓનલાઇન
  • ફન વીથ નોલેજ
  • જનરલ નોલેજ ( સેકન્ડમાઇન્ડ )
  • સાપસીડી ઓનલાઇન
  • મારીયો ઓનલાઇન
  • ક્વિઝ ટ્રી
  • શેપર્ડ સોફ્ટવેર બાળકો માટે
  • ગુજરાતી ડીક્શનરી
  • નવા રેશનકાર્ડ માટે
  • ગુજરાત ક્વીજ
  • દુનીયા આંગળીના ટેરવે, અમેઝીંગ થ્રીડી વર્લ્ડ
  • એરીયા વાઇઝ પીનકોડ શોધો
  • ફોન્ટ ડાઉનલોડ કરવા માટેની સાઇટ
  • ડાઉનલોડ વિન્ડોઝ સોફ્ટવેર
  • ગાનાડોટકોમ
  • રીડ ગુજરાતીડોટ કોમ
  • આરોગ્ય ડોટકોમ
  • સ્વાદ ઇન્ડીયાડોટ કોમ
  • મફત sms મોકલવા માટે
  • ફ્રી જોબ એલર્ટ
  • નેટ જગત
  • ગુજરાત રોજગાર સમાચાર
  • આસ્ક સફર
  • STD કોડ શોધો
  • બાળકોના નામ જાણો
  • ગુજરાત ગાર્ડીયન ગુજરાતી ન્યુઝપેપર
  • એક્સેલ ફાઇલ ફન
  • વેબદુનીયા ગુજરાતી
  • Sunday 27 October 2013

    દીપાવલી : પાંચ દિવસનું પર્વ

    આપણે ત્યાં શિવરાત્રિ, હોળી, મકરસંક્રાંતિ, જન્માષ્ટમી, રામનવમી એમ વિવિધ ઉત્સવ ઊજવાય છે, પરંતુ બધાં જ તહેવારોમાં સૌથી વધારે મહત્ત્વ દીપાવલીનું છે. દીપાવલીને પંચપર્વ પણ કહે છે, કારણ કે આ પર્વ ધનતેરસ, કાળીચૌદશ, દિવાળી, નૂતન વર્ષ અને ભાઈબીજ એમ પાંચ દિવસ સુધી સતત મનાવવામાં આવે છે. આપણાં બધાં જ પર્વોની જેમ દીપાવલી પણ અંધકારમાંથી પ્રકાશ તરફ જવાનો સંદેશ આપે છે. આ પંચપર્વને ગણતરીના દિવસો બાકી છે ત્યારે આ પંચપર્વનું મહત્ત્વ તથા તેની સાથે જોડાયેલી કથાઓ વિશે જાણીએ
    દીપાવલી દીપોનો એટલે કે પ્રકાશનો તહેવાર છે. દીપાવલી એક એવું પર્વ છે જેને આપણે સૌથી મોટું પર્વ કહી શકીએ. દીપાવલી હિન્દુઓનું સૌથી મોટું પર્વ છે. દીપાવલી વાસ્તવમાં એક દિવસનું નહીં, પરંતુ પાંચ દિવસનું પર્વ છે. આસો સુદ તેરસ એટલે કે ધનતેરસથી લઈને કારતક સુદ બીજ એટલે કે ભાઈબીજ સુધી દીપાવલી મનાવવામાં આવે છે. દીપાવલીમાં દીપ પ્રગટાવવાનું તથા લક્ષ્મી પૂજનનું વિશેષ મહત્ત્વ છે. આ પર્વ દરમિયાન લોકો ઘરની સાફ-સફાઈ કરે છે, ઘરના આંગણાને રંગોળીઓથી સજાવે છે, દરવાજે આસોપાલવનાં તોરણો બાંધે છે, નવાં કપડાં પહેરે છે, મીઠાઈ ખાય છે અને ફટાકડા ફોડીને આનંદ કરે છે. આમ, દીપાવલી હર્ષોલ્લાસ અને આનંદનું સૌથી લાંબું પર્વ છે.
    ધનતેરસ
    પંચપર્વ દીપાવલીની શરૂઆત ધનતેરસના દિવસથી થાય છે. ધનતેરસના દિવસે લક્ષ્મીજી, ધન્વંતરી અને યમરાજનું પૂજન કરવામાં આવે છે. લક્ષ્મીજી ધનનાં દેવી છે. તેઓ સમુદ્રમંથનમાંથી પ્રગટ થયાં હતાં અને ભગવાન વિષ્ણુને વર્યા હતાં. ધનતેરસના દિવસે ધન-ધાન્ય, સુખ-સમૃદ્ધિ મેળવવા માટે રાત્રે લક્ષ્મીજીનું પૂજન કરવામાં આવે છે. ધનતેરસના દિવસે લક્ષ્મીપૂજન સાથે ગરીબ ખેડૂતની કથા જોડાયેલી છે. લક્ષ્મીજીએ કહ્યું છે કે ધનતેરસના દિવસે મારું પૂજન કરવાથી હું તે ઘરમાં વાસ કરીશ. ધનતેરસના દિવસે સોનું-ચાંદી ખરીદવાની પણ પરંપરા છે. એક એવી માન્યતા પણ જોડાયેલી છે કે ધનતેરસે કોઈ નવી વસ્તુ ખરીદવામાં આવે તો તેમાં તેર ગણી વૃદ્ધિ થાય છે. આ જ દિવસે ધનના દેવતા કુબેરની પણ પૂજા કરવામાં આવે છે.
    લક્ષ્મીજીની જેમ દેવતાઓના વૈદ્ય ધન્વંતરી પણ સમુદ્રમંથન દરમિયાન હાથમાં અમૃતકળશ લઈને પ્રગટ થયા હતા, તેથી ધનતેરસના દિવસે ધન્વંતરી જયંતી મનાવવામાં આવે છે. તેઓ હાથમાં વાસણ (કળશ) લઈને પ્રગટ થયા હોવાથી ધનતેરસના દિવસે નવાં વાસણ ખરીદવાની પરંપરા છે. વૈદ્ય, હકીમ અને બ્રાહ્મણો સહિત અનેક લોકો ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરીનું પૂજન કરે છે, કારણ કે સારા સ્વાસ્થ્ય વગર ધન શું કામનું?
    ધનતેરસના દિવસે મૃત્યુના દેવતા યમરાજના પૂજનનું પણ વિધાન છે. તેની પાછળ અનેક રસપ્રદ કથાઓ જોડાયેલી છે. આ પૂજા દિવસે નહીં, પરંતુ રાત્રે કરવામાં આવે છે. આ દિવસે યમરાજના નિમિત્ત દીપદાનનું વિશેષ મહત્ત્વ છે. તેના માટે દક્ષિણ દિશામાં દીવો કરવામાં આવે છે જેને જમદીવો કહે છે. એવું કહેવાય છે કે દીપદાન કરવાથી અકાળ મૃત્યુ નથી થતું.
    કાળીચૌદશ
    દીપાવલીના એક દિવસ પહેલાં કાળીચૌદશ હોય છે. જેને રૂપ ચૌદશ કે નરક ચતુર્દશી તરીકે પણ ઓળખવામાં આવે છે. કાળીચૌદશને નાની દિવાળી પણ કહે છે. આ દિવસે ચારે બાજુ દીવાઓ પ્રગટાવવામાં આવે છે. માતાજીનાં બે રૂપ છે. તેમાંથી એક છે, સૌમ્ય અને બીજું છે રૌદ્ર. કાળીચૌદશના દિવસે મહાકાળીના રૌદ્ર સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આ જ દિવસે હનુમાન પૂજાનું પણ વિધાન છે. આ દિવસ તાંત્રિક સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે પણ ઉત્તમ માનવામાં આવે છે.
    આપણા અન્ય તહેવારોની માફક કાળીચૌદશ પણ આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયનું પર્વ છે. આજના દિવસે જ ભગવાન શ્રીકૃષ્ણે નરકાસુરનો વધ કર્યો હતો, તેથી આ ચૌદશ નરક ચતુર્દશી તરીકે ઓળખાય છે. નરકાસુરના વધ બાદ તેણે બંધક બનાવેલી સોળ હજાર એક સો કન્યાઓને મુક્ત કરાવી હતી. નરકાસુરના અત્યાચારમાંથી મુક્તિ મળતાં સૌ નગરવાસીઓએ દીવા પ્રગટાવીને ઉત્સવ મનાવ્યો હતો. શ્રીકૃષ્ણના શરીરમાંથી નરકાસુરના લોહીની દુર્ગંધ આવતી હતી. તેને દૂર કરવા માટે તેમને સુગંધિત તેલથી માલિશ કરી સુગંધિત જળથી સ્નાન કરાવવામાં આવ્યું હતું. ત્યારથી કાળીચૌદશના દિવસે શરીર પર તેલથી માલિશ કરીને સ્નાન કરવાની પરંપરા શરૂ થઈ.
    રૂપ ચતુર્દશી નામ પાછળ પણ એક કથા સંકળાયેલી છે. તે અનુસાર હિરણ્યગર્ભ નામના પ્રદેશમાં એક યોગીએ ભગવાનને પામવા માટે સમાધિ ધારણ કરી. આ દરમિયાન તેમના શરીરમાં કીડા પડી ગયા અને તેમનો દેખાવ કદરૂપો બની ગયો. નારદજીએ યોગીનું આ રૂપ જોઈને તેને ફરીથી સ્વરૂપવાન બનવા માટે આસો વદ ચૌદશનું વ્રત કરવાનું કહ્યું. આ વ્રત કરવાથી તે યોગી સ્વરૂપવાન બની ગયો. ત્યારથી કાળીચૌદશ રૂપચૌદશ તરીકે ઓળખાવા લાગી. સ્વરૂપવાન બનવાની કામના સાથે સ્ત્રીઓ આ દિવસે શૃંગાર કરે છે. કાળીચૌદશના દિવસે પણ અકાળ મૃત્યુ રોકવા અને સ્વાસ્થ્યની સુરક્ષા માટે યમરાજનું પૂજન કરવામાં આવે છે.
    દીપાવલી
    દીપાવલીને દિવાળી પણ કહે છે. દીપાવલી શબ્દ દીપ તથા આવલીની સંધિથી બનેલો છે. દીપ એટલે દીવો અને આવલી એટલે પંક્તિ. આમ, દીપાવલીનો અર્થ છે દીવાઓની પંક્તિ. તેથી જ દીપાવલીને દીપોત્સવ પણ કહે છે. ભારતમાં મનાવવામાં આવતા તહેવારોમાં દીપાવલીનું મહત્ત્વ વિશેષ છે. તેને દીપોત્સવ પણ કહે છે. તે સંદેશ આપે છે કે 'તમસો મા જ્યોતિર્ગમય' એટલે કે અંધારામાંથી પ્રકાશ તરફ જાઓ. આ જ ઉપનિષદોની આજ્ઞા છે. જેને દરેક ધર્મના લોકો માને છે. દીપાવલીની ઉજવણી પાછળ સૌથી મોટી માન્યતા એ છે કે ભગવાન શ્રીરામ ચૌદ વર્ષનો વનવાસ પૂરો કરી અને રાવણનો વધ કરીને અયોધ્યા પાછા ફર્યા હતા. પોતાના પ્રિય રાજા રામના આગમનથી અયોધ્યાવાસીઓ ઉલ્લાસમાં આવી ગયા અને શ્રીરામના સ્વાગત માટે નગરમાં ઘીના દીવા પ્રગટાવ્યા હતા. આસો વદ અમાસની અંધારી રાત્રિ દીવાઓના પ્રકાશમાં ઝગમગી ઊઠી ત્યારથી દિવાળી ઊજવવાની શરૂઆત થઈ.
    દીપાવલી વર્ષ (વિક્રમ સંવત)નો છેલ્લો દિવસ છે. વેપારીઓ પોતાની દુકાન કે કાર્યસ્થળની સાફ-સફાઈ કરીને શારદા (ચોપડા) પૂજન તથા લક્ષ્મીપૂજન કરે છે અને આવનારું વર્ષ સુખ-સમૃદ્ધિથી સભર રહે તેવી કામના કરે છે. દિવાળીના દિવસે લોકો ગણેશ, સરસ્વતી અને લક્ષ્મીજીનું પૂજન કરે છે અને ઘરને દીવાઓથી ઝગમગાટ કરી દે છે. નવાં કપડાં પહેરે છે, ઘરના આંગણામાં રંગોળી બનાવે છે તથા આતશબાજી કરે છે. આમ, ધૂમધામપૂર્વક દિવાળીની ઉજવણી થાય છે. મહાવીર સ્વામી દિવાળીના દિવસે જ નિર્વાણ પામ્યા હતા.ળનૂતન વર્ષ
    દિવાળીના બીજા દિવસે નૂતન વર્ષ ઊજવવામાં આવે છે. આ દિવસથી વિક્રમ સંવતના નવા વર્ષની શરૂઆત થાય છે. નૂતન વર્ષની નવ પ્રભાતે સૂર્યનો પ્રકાશ દરેક મનમાં નવી આશાઓનો ઉજાસ પાથરે છે. નવું વર્ષ નવી આશાઓ અને નવા વિચારો લઈને આવે છે. આ દિવસે લોકો ગયા વર્ષનાં મનદુઃખ, વેરભાવ, કડવાશ, ખારાશ એમ તમામ અવગુણોને ત્યજીને સૌને સાલ મુબારક, નૂતન વર્ષાભિનંદન કે હેપ્પી ન્યૂ યર કહીને નવા વર્ષની શુભકામનાઓ આપે છે.
    નૂતન વર્ષના પ્રથમ દિવસે બધાં જ લોકો પોતાના વડીલોનાં ચરણ સ્પર્શ કરી આશીર્વાદ મેળવે છે. જ્યારે વડીલો તેમને બક્ષીસ આપે છે. આ દિવસે બધાં જ લોકો નવાં કપડાં પહેરે છે. આંગણાને સુંદર રંગોળીથી સજાવે છે. દરવાજે આસોપાલવનાં તોરણ સજાવે છે. લોકો સંબંધીઓ અને પડોશીઓના ઘરે જાય છે. મહેમાનોને મીઠાઈ ખવડાવીને મોં મીઠું કરાવવામાં આવે છે.
    નૂતન વર્ષનું ધાર્મિક મહત્ત્વ પણ છે. આ દિવસે ગોવર્ધન પૂજા થાય છે. ગાયના છાણથી ગિરિરાજ ગોવર્ધનનાથનું સ્વરૂપ બનાવવામાં આવે છે. આ ગોવર્ધનનાથની પરિક્રમા અને પૂજન કરવામાં આવે છે. નૂતન વર્ષે દરેક મંદિરોમાં અન્નકૂટ ધરાવવામાં આવે છે.
    ભાઈબીજ
    કારતક સુદ બીજનો દિવસ ભાઈબીજ કે યમદ્વિતીયા તરીકે ઓળખાય છે. આ દિવસ ભાઈ-બહેનના પ્રેમ અને સ્નેહને વ્યક્ત કરે છે. ભાઈબીજના દિવસે ભાઈ બહેનના ઘરે ભોજન કરવા જાય છે અને બહેનને યથાશક્તિ ભેટ આપે છે. આ પરંપરા પાછળ એક ધાર્મિક કથા સંકળાયેલી છે. યમુનાજી વારંવાર પોતાના ભાઈ યમરાજને મળવા જાય, પરંતુ તેઓ જ્યારે ભાઈના ઘર પાસેથી પસાર થતાં ત્યારે તેમની નજર યમપુરી પર પડતી. યમપુરીમાંથી આવતા જીવોના ચિત્કારો અને પીડાત્મક આર્તનાદ સાંભળીને યમુનાજીનું કોમળ હૃદય દ્રવી ઊઠતું. યમુનાજીને પોતાના ભાઈ યમરાજ ખૂબ જ વહાલા હતા, તેથી તેમને પોતાને ત્યાં ભોજન કરવાનું વારંવાર આમંત્રણ આપે, પરંતુ યમરાજ કામમગ્ન હોઈ જઈ શકતા નહીં. એક દિવસ અશ્રુભીની આંખે કારતક સુદ બીજના દિવસે જમવા પધારવા માટે યમુનાજીએ યમરાજને વિનંતી કરી. બહેનની આંખમાં આંસુ જોઈને યમરાજે જમવા પધારવાનું આમંત્રણ આપ્યું. યમરાજ પોતાની બહેનને ત્યાં પોતાનું વચન પૂરું કરવા પરિવાર સહિત પધાર્યા. ભોજન કર્યા પછી યમરાજે યમુનાજીને વસ્ત્રાલંકારો આપ્યાં અને હજુ પણ કંઈ માગવું હોય તો માગવા જણાવ્યું. ત્યારે યમુનાજીએ માગ્યું કે, "આપ કૃપા કરીને યમપુરીમાં પીડાઈ રહેલાં જીવોને મુક્ત કરો."
    યમરાજે કહ્યું, "બહેન, મારું કાર્ય જીવોને તેમનાં કર્મ પ્રમાણે દંડ આપવાનું છે, પરંતુ તેં મારી પાસે વચન માગ્યું છે, તેથી હું તને વચન આપું છું કે આજના દિવસે જે ભાઈ-બહેન યમુના જળમાં સ્નાન કરી તારા જળરૂપી અમૃતનું પાન કરશે તથા જે ભાઈ બહેનના ઘેર જઈને ભોજન કરી ભેટ આપશે તેને કદીયે યમ કે યમપુરીનો ભય નહીં રહે."

    કેટલીક લાચારી માણસે શીખી લીધેલી હોય છે!


    શીખી લીધેલી લાચારીમાં વ્યક્તિએ ભૂતકાળના નકારાત્મક અનુભવો પરથી લાચારી શીખી લીધી હોય અને તે પણ એ હદ સુધી કે જીવનમાં આગળ વધવાની તક મળે તો તેઓ તેનો પણ અસ્વીકાર કરી દે છે
    પ્રિયાંશ સાતમા ધોરણમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી છે. ગણિત વિષય એ એની સમજ બહારનો હોય, એવું એનું માનવું છે. ગણિતના વિષયનો વર્ગમાં પિરિયડ આવે અને તેના જાણે મોતિયા મરી જાય! ગણિતના નિયમો, સિદ્ધાંતો તેની સમજમાં જ ન આવે. આથી, સ્વાભાવિક રીતે જ ગણિતના વિષયનું પરિણામ ખૂબ ઓછું આવ્યું! તેનાં મમ્મી-પપ્પા તો આકુળ-વ્યાકુળ થઈ ગયાં અને તેનું ગણિતનું ટયુશન શરૂ કરાવડાવી દીધું. તેમ છતાં, પ્રિયાંશને હજુ બરાબર ગતાગમ નહોતી પડતી. ત્યારબાદ ફરી ગણિતનું એ જ પરિણામ અને પ્રિયાંશની હાલત જેમની તેમ! તેમાં કંઈ જ સુધારો ન હતો. આમ થવાથી પ્રિયાંશના આત્મવિશ્વાસ ઉપર ઊંડી અને વિપરીત અસર થઈ. તેના આત્મવિશ્વાસની કમી માત્ર ગણિતના વિષય પૂરતી સીમિત ન રહેતાં બીજા વિષયો ઉપર પણ પડવા માંડી. ભણવામાં તેનો રસ ઊડી ગયો અને તેનું પરિણામ વધારે ને વધારે નબળું થતું ગયું. તે હવે ભણવા જ નહોતો માગતો, ચોપડીઓ ખોલવાની તો વાત જ દૂર રહી, જાણે કે તેણે મનથી પોતાની લાચારી સ્વીકારી લીધી હતી.
    તન્વીની વાત આનાથી કંઈક અલગ હતી. તેણીએ એમબીએ સુધી અભ્યાસ કર્યો હતો અને તેનાં લગ્ન વિશેની ચિંતા તેનાં માતા-પિતાને સતાવતી હતી. તન્વી આ વિષય પર વાત કરવા પણ તૈયાર નહોતી થતી. તેણીએ લગ્ન કરવા માટે ના પાડી દીધી. તેનાં મમ્મી-પપ્પા ચિંતાતુર થઈ ગયાં અને તેમણે એક વાર તન્વીને પાસે બેસાડી પ્રેમથી આ માટેનું કારણ પૂછયું તો તે રડી પડી. વાત એમ હતી કે કોલેજના અભ્યાસ દરમિયાન તન્વી એક છોકરાના પ્રેમમાં હતી. લગભગ છ-આઠ મહિનાના પ્રેમસંબંધ બાદ તે સંબંધ તૂટી ગયો. ત્યારબાદ તેના એક સહકર્મચારી સાથે તેણીને પ્રેમસંબંધ થયો. તે પણ ત્રણેક મહિનાના ટૂંકા સમયમાં જ તૂટી ગયો. આથી, હવે જાણે કે તેણીએ મનથી સ્વીકારી લીધું કે તે લગ્નસંબંધને યોગ્ય નથી. આ મામલામાં-જીવનમાં તેણીએ પોતાની લાચારી સ્વીકારી લીધી હતી અને હવે તે કોઈ પણ સંબંધમાં જોડાવા તૈયાર નહોતી.
    આ બંને કિસ્સામાં જણાય છે કે બે-ત્રણ વખતની નિષ્ફળતાને કારણે વ્યક્તિ પછીથી પોતાની જાતને પણ નિષ્ફળ માનવા લાગે છે અને તે પોતાની લાચારી સ્વીકારી લે છે, જેને 'શીખી લીધેલી લાચારી' (Learned Helplessness) કહેવાય છે. આ એવી અવસ્થા છે કે જેમાં વ્યક્તિ કે પ્રાણીએ લાચારી શીખી લીધી હોય. પોતાના ભૂતકાળના નકારાત્મક અનુભવો પરથી અને તે પણ એ હદ સુધી કે જીવનમાં આગળ વધવાની તક મળે તો તેઓ તેનો પણ અસ્વીકાર કરી દે છે અને અણગમતા થઈ પડેલા સંજોગો, પરિસ્થિતિ, ઘટનાની અવગણના કરવા માંડે છે. આ વિશેની આકસ્મિક શોધ માર્ટિન સેલિગ્મેન અને સ્ટીવન એફ. મેયર નામના બે સાયકોલોજિસ્ટે, પેન્સિલવિનિયાની યુનિ.માં ૧૯૬૭ દરમિયાન કરી હતી.
    તેઓ પાવલોના કન્ડિશનિંગના પ્રયોગો ઉપર વધુ રિસર્ચ કરી રહ્યા હતા. તે દરમિયાન તેમણે નોંધ્યું કે, કૂતરાને વારંવાર એક જ જગ્યા પર હળવા કરંટના ઝટકા આપવામાં આવે કે જેમાંથી તે કંઈ પણ કરે તોપણ બચી ન શકે. ત્યારબાદ આ જ કૂતરાને તેઓ બીજા એક રૂમમાં લઈ જતાં અને ત્યાં એવી વ્યવસ્થા હતી કે તે જો નાની એવી દીવાલ કૂદી જાય તો તે આ હળવા કરંટથી બચી શકે, પરંતુ તેના પહેલાંના અનુભવના આધારે તેણે શીખી લીધું હતું કે તે કંઈ પણ કરે તોપણ આ કરંટથી બચી શકે એમ નથી, આથી તે તેની સામે રહેલી તકને પણ બેધ્યાન કરી દે છે અને કૂદતો નથી. તે ત્યાં ને ત્યાં જ ઊભો રહીને કરંટ ખાયા કરે છે. આ વર્તનને તેમણે 'શીખી લીધેલી લાચારી -Learned Helplessness' તરીકે ઓળખાવી હતી. ત્યારબાદ આ પ્રયોગ વારંવાર અલગ-અલગ જગ્યાઓ પર, અલગ-અલગ લોકો પર કરવામાં આવ્યો, જેમાં પણ આ પ્રકારનાં પરિણામો જ મળ્યાં.
    શું આ શીખી લીધેલી લાચારીને આપણી રોજબરોજની જિંદગી સાથે કંઈક સંબંધ છે? ઉપરના જ બે કિસ્સાઓ વિશે વિચારો! સતત મળતી નિષ્ફળતા, નોકરીમાં, અભ્યાસમાં, લગ્ન કે પ્રેમસંબંધોમાં, પોતાના વેપારમાં વ્યક્તિનો આત્મવિશ્વાસ ડગમગી જાય છે અને પોતાનો આ દરેક ઉપર કોઈ પણ પ્રકારનો કંટ્રોલ નથી એમ ધીમે ધીમે માનવા લાગે છે. નવો વેપાર, નવો સંબંધ કે નવા અભ્યાસ માટે તક મળતી હોય તોપણ તેને અવગણે છે અને તે કરતા પહેલાં જ પોતાની હાર સ્વીકારી લે છે.
    વ્યક્તિ પોતાના પરથી આત્મવિશ્વાસ ગુમાવી બેસે છે. તેને પોતાના દરેક પ્રયત્નો વ્યર્થ લાગે છે અને પોતાની જાતને નિષ્ફળતા સામે ઘૂંટણિયે પાડી દે છે. આ 'શીખી લીધેલી લાચારીને' ઉદાસી રોગ સાથે સીધો સંબંધ હોવાનું અનેક સર્વેક્ષણોમાં જાણવામાં આવેલ છે અને ચિંતા-સ્ટ્રેસ સાથે પણ! એવું સાબિત થયેલ છે કે લાંબા ગાળાનો સ્ટ્રેસ-ચિંતા છેવટે આ પ્રકારની લાચારીમાં પરિણમે છે અને આ લાચારી ઘણી બધી ગંભીર માનસિક તથા શારીરિક બીમારીને નોતરી શકે છે.
    આવી જ લાચારી ધૂમ્રપાન કરતા કે રોજેરોજ દારૂ પીતા કે નશીલી દવાનું સેવન કરતાંને પણ થતી હશે! ઘણી કોશિશો કરવા છતાં તેઓ ઘણી વાર તેમાંથી છુટકારો નથી મેળવી શકતા. આથી જો કોઈક વાર તેમને એમ થાય કે આ દવા કરવાથી છૂટી જશે પરંતુ તેમની શીખી લીધેલી લાચારી તેમને આ માટેની મદદ લેતાં અટકાવે છે અને પરિણામે તે તેનો વધુ ને વધુ બંધાણી થતો જાય છે.
    શું આમ થતું અટકાવવાનો કોઈ રસ્તો ખરો! વ્યક્તિ આમાંથી બહાર આવી શકે ખરી! પોતાની શીખી લીધેલી લાચારીને ભૂલીને - overcome કરીને આગળ વધી શકે ખરી! તો તેનો જવાબ છે હા! આવા સમયે તમારા મિત્રો, સગાં-સંબંધીઓ, હિતેચ્છુઓની સલાહ લો. તમારા જીવનની હકારાત્મક બાબતો, હકારાત્મક અનુભવો, ખુશી-આનંદની પળોનો વિચાર કરો. મેડિટેશન-યોગ તમને લાભદાયી થઈ શકે છે. વિચારો કે ભલે હમણાં આ લાચારીનો અનુભવ થઈ રહ્યો છે, પરંતુ તેમાંથી બહાર નીકળવાની કોશિશો બંધ ન કરો. દરેક પળે નવી તકો જિંદગીમાં આવતી જ હોય છે, આથી આ પરિસ્થિતિનો સ્વીકાર કરી, તેમાંથી બહાર નીકળવાના પ્રયત્નોમાં લાગી જાઓ. નાસીપાસ થયા વગર સતત પ્રયત્નો કરતા જ રહો. એટલે જ કહેવાયું છેને, 'કોશિશ કરનેવાલોં કી હાર નહીં હોતી!'
    સતત પરિશ્રમ કરતા રહો. ત્યારબાદ પણ જો ન બહાર આવી શકો તો મનોચિકિત્સક પાસે જતાં પણ અચકાશો નહીં! આ માટેની દવાઓ ઉપરાંત CBT - સાઇકોથેરાપીની મદદથી પણ તમે આ શીખી લીધેલી લાચારીને ભૂલીને આગળ વધી શકો છો!
    અને હા, છેલ્લી વાત, સતત સફળતા પામતા લોકો 'શીખી લીધેલા વિશ્વાસ'ને આધારે જ આગળ વધતા હોય છે. માણસ ઇચ્છે તો 'કેળવેલી લાચારી'માંથી 'કેળવેલા વિશ્વાસ' તરફ અચૂક જઈ શકે છે.