આપણે મંદિરમાં દર્શન કરવા જઇએ છીએ. તો સૌથી પહેલાં પગે ક્યાં લાગીએ?
ભગવાનને તો પછી પગે લાગવાનું આવે પરંતુ મંદિરમાં જાઓ એટલે પહેલાં શું કરો?
જોડા ઉતારો, બુટ-ચંપલ ઉતારો. પહેલું કામ બુટ ઉતારવાનું એટલે ત્યાગ કરવાનું.
બુટ ઉતાર્યા કે ચંપલ ઉતાર્યા ત્યાંથી ત્યાગની શરૂઆત થઇ.
ત્યાગ
કર્યા વિના મંદિરમાં પ્રવેશ ન મળે. ત્યાગથી શાંતિ મળે પણ આપણે તો ત્યાગ
કર્યા પછી જે મમતા હોય તેને ન છોડીએ. ત્યાગ ક્યારે કહેવાય? વસ્તુ ઉપર
રહેલું આપણું મમત્વ છૂટે એ ત્યાગ પણ મમત્વ જતું નથી. મારા ચંપલ છે, મારા
બુટ છે. એવું મારાપણું રહે છે. આ મમત્વ રહે છે તેને પરિણામે મંદિરમાં જઇએ
તો પણ આપણે ભગવાનની સાથે એકરૂપ નથી થઇ શકતા. અડધી સ્તુતિ ભગવાનની થાય અને
અડધી બુટની થાય.
મનમાં બુટની ચિંતા હોય. કોઇ ઉપાડી ન જાય એની ચિંતા ભગવાનનાં દર્શન કરતા
હોઇ ત્યારે સાથે-સાથે ચાલે. ભગવાનની સામે જોઇને આપણે બોલીએ, 'ત્વમેવ માતા ચ
પિતા ત્વમેવ' ત્યાં જ બુટ યાદ આવે. કોઇ લઇ ગયું હશે તો ? અને મંદિરની બહાર
પાછળ ફરીને બોલીએ 'ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ' વળી પાછા ભગવાન તરફ નજર
ફેરવીએ. ત્યાં ચંપલ યાદ આવે. 'ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ' વળી જોડાં યાદ
આવે. 'ત્વમેવ સર્વં મમ દેવ દેવ' હે દેવના દેવ! ત્વમેવ સર્વં મમ દેવ દેવ.
ત્યાગનો અર્થ એ છે કે વસ્તુ કે વ્યક્તિ ઉપરનું આપણું જે મમત્વ છે એને
છોડવું. નમસ્કારમાં આ ભાવ છે. ન મમ એમાંથી છેલ્લો 'મ' ગયો એટલે નમ: એવો
અર્થ થાય. ન મૈં રહું, ન મેરા રહે. તેથી મંદિરમાં જતાં પહેલાં જોડાં કાઢીએ.
હવે પગમાં જોડા હોય એ સહેલાઇથી કાઢી શકાય પણ બુદ્ધિમાં પણ બે જોડા હોય છે.
બુદ્ધિબહેન બે સેન્ડલ પહેરે. એ બે ચંપલ પહેરી મંદિરે દર્શન કરવા જાય. એનાં
જે બે સેન્ડલ છે, તેમાંથી એકનું નામ અભિમાન અને બીજાનું નામ તર્ક છે.
આ અભિમાન અને તર્કરૂપી બે ચંપલ બુદ્ધિ પાસે છે. પદનું અભિમાન,
પ્રતિષ્ઠાનું અભિમાન, વિદ્વત્તાનું અભિમાન, સંપત્તિનું અભિમાન. બીજું તર્ક.
તર્ક પાછો કુતર્ક થઇ જાય. આમ બને ત્યારે માણસ મંદિરમાં જાય કે ન જાય. કંઇ
ફર્ક પડતો નથી. હકીકતમાં માણસ શ્રદ્ધાવાન થઇ મંદિરમાં પ્રવેશ કરે તો એને
ભગવદ્ દર્શન થાય. નહીંતર ખાલી મૂર્તિને જોઇ ચાલ્યો આવે. દ્વારકાનાથનાં
દર્શન મીરાંએ પણ કર્યાં હતાં, પણ મીરાં દ્વારકાનાથમાં એકરૂપ થઇ સમાઇ ગઇ.
આપણે ટિકિટભાડા ખર્ચીને જઇએ પણ શ્રદ્ધા વગરના જઇએ. તેથી મૂર્તિને જોઇને
આવતા રહીએ.
કોઇ બીમાર પડે ત્યારે તેની ખબર કાઢવા લોકો જાય ત્યારે
એમ કહેવાય 'એને જોવા ગયા હતા, ખબર કાઢવા ગયા હતા. અમારા સંબંધી હોસ્પિટલમાં
છે, એને જોવા ગયા હતા એમ લોકો કહે 'બસ, એમ જ આપણે મંદિરમાં જઇ ભગવાનને જોઇ
આવીએ. એની ખબર કાઢવા જઇએ કે માંદા છે કે સાજા છે. હમણાં તાવ આવ્યો હતો,
હવે કેમ છે? આવી રીતે મંદિરમાં તે કંઇ જવાતું હશે?'
જોવાની, દર્શન
કરવાની. જ્યારે શ્રદ્ધા લઇને જઇએ ત્યારે આપણને પ્રતીતિ થાય કે ભગવાન
ભાવનાના મંદિરમાં રહે છે. ભગવાનનો નિવાસ શ્રદ્ધાના મંદિરમાં છે. તેથી પગનાં
જોડા તો કાઢવાનાં પણ સાથે મંદિરમાં જતી વખતે બુદ્ધિનાં ચંપલ પણ ઉતારવાનાં
પણ હજી મંદિરમાં પ્રવેશ થયો નથી. સૌ પહેલાં ભક્ત પહેલી સીડી આવે તો ત્યાં
સીડી-પગથિયાંને પ્રણામ કરે તેનો અર્થ એટલો કે ઇશ્વર સુધી પહોંચાડનાર જે
પગથિયું છે, જે સીડી છે તેને પગે લાગો. ભગવાન સુધી પહોંચાડનાર જે પગથિયું
છે, જે સીડી એટલે જ આપણા સંતો, સદગુરુ જ પ્રભુ સુધી પહોંચાડે છે.